માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

બાળકો માટેનો ખોરાક

Image Description

બાળકને શું ખવડાવવુ ડોક્ટર ...?!! લગભગ દરેક બાળ રોગ નિષ્ણાંત ને 50% થી વધુ માતાનો રોજબરોજ પૂછાતો સવાલ છે સાહેબ મારા બાળકને શું ખવડાવુ કે તે ખૂબ સરસ તંદુરસ્ત રહે... અને પછી અનેક સલાહો અને થોડી દવાઓ લખવા સાહેબને ઘણી વાર મજબૂર કરવામાં પણ આ મમ્મીની લાગણી કામ કરી જતી હોય છે તો આજે પ્રસ્તુત છે આ સવાલનો સરળ જવાબ ....!!!

કેટલાક મૂળભૂત સિધ્ધાંતો યાદ રાખશો.

  1. પ્રથમ છ માસ માટે સ્તનપાન સંપૂર્ણ આહાર છે. શારીરીક અને માનસિક વિકાસ તથા રોગ મુકત તંદુરસ્ત બાળક રાખવા આ નિયમને ચુસ્ત પણે વળગી રહો.
  2. છ માસ પછી નો ઉપરી આહાર બાળકના ઝડપથી વધી રહેલા શારીરીક અને માનસિક વિકાસની જરુરી માંગને પૂરી કરવા ખૂબ જરુરી છે. ઉપરી ખોરાક ચાલુ કરતી વખતે યાદ રાખો કે સ્તનપાન ચાલુ રાખીને ઉપરથી ખોરાક કે દૂધ આપવાનું છે. ઉપરી આહાર સામાન્યતઃ ½- 1 વાટકી જેટલો આપવાનો છે. જે શિશુ સ્તનપાન ઉપર હોય તે બાળકને દિવસમાં ત્રણ વખત અને સ્તનપાન ચાલુ ન હોય તેને દિવસમાં પાંચ વખત આવો આહાર આપવો જોઈએ.
    ઉપરી આહારના સરળ વિકલ્પો – ઉદાહરણૉ
    • ધાન/અનાજ ( દા.ત.ઘઉં) ના લોટમાં થી બનાવેલી જાડી રાબ
    • પાણી નાખ્યા વગરના ગળ્યા દૂધમાં મસળેલી રોટલી કે ભાત
    • જાડી દાળમાં ઘી કે તેલ નાખીને મસળેલ ભાત કે રોટલી
    • ઘી કે તેલમાં નાખી મસળેલ ખિચડી માં દૂધ કે ધહીં ઉમેરી
    • દૂધમાં રાંધેલી ખીર કે સેવ
    • બાફીને ચોળેલુ બટેટુ કે પાકુ કેળુ- કેરી કે ચીકુ
  3. ઉપરી ખોરાક માટે ખાસ વધુ પડતી મહેનત જરુરી નથી. આપના ઘરના અન્ય સભ્યો માટે બનાવાતા ખોરાકમાંથી જ બાળક માટે ખોરાક બનાવી શકાય છે. દા.ત. જો ઘરમાં મેનુ માં તુવેરની દાળ બનાવવાની છે તો બાળક માટે બાફેલી દાળમાં ખાંડ કે ગોળ અને ઘી નાખી ને પૂરણ જેવો પોચો અને પૌષ્ટીક ખોરાક બની શકે છે. જરુર માત્ર બુધ્ધિ દોડાવવાની છે.
  4. ઘરના રોજીંદા ખોરાકના મેનુ માંથી બાળક માટે ખોરાક પસંદ કરવાથી ધીરે-ધીરે બાળકને ભાણે બેસાડી એક જ થાળીમાંથી જમતુ કરવાના આપણો પ્રયાસ સરળ બને છે.
  5. ઋતુવાર આવતા ફળો બાળક માટે હંમેશા તાજા વિટામીન અને મિનરલ થી ભરપૂર ઈશ્વરદત્ત ખજાનો છે. તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. કેળા વિશે લોકોમાં ભાત-ભાતની ગેરમાન્યતાઓ પ્રવર્તે છે અને શરદી થશે કે ભારે પડ્શે તેવી ખોટી ભ્રમણાથી બાળકોને આ ઉત્તમ કેલરી અને કેલ્શયમ થી ભરપૂર ફળ થી દૂર રાખે છે જે તદ્દન ખોટુ છે.
  6. પોપ્કોર્ન- મમરા-વેફર - ધાણી - બિસ્કીટ વિ. પદાર્થો સરળતાથી પ્રાપ્ય છે પરંતુ તેમની અંદર કેલરીનુ પ્રમાણ અન્ય ઘરેલુ ચીજો થી ઓછુ હોય છે એટલે જો બાળક આવો ખોરાક ખાય તો પોષણ/ કેલરી ની ખામી સર્જાઈ શકે છે. વળી આ ચીજોનુ પાચન ઘણી વાર બાળકોમાં સમ્સ્યા સર્જતુ જોવા મળે છે.
  7. ઘી- તેલ-ગોળ અને ખાંડ આ ચાર વસ્તુ કોઈપણ ખોરાકની કેલરી વધારી શકવા સક્ષમ છે. નાના બાળકો શરુઆતી દિવસો માં જ્યારે ઓછો ખોરાક લે ત્યારે જરુરી છે કે જેટલો પણ ખોરાક લે તે ખૂબ જ કેલરીક્ષમ હોય. આ માટે તમે દરેક ખોરાકમાં જ્યાં જે ભળે તે ઉપરની ચાર વસ્તુમાંથી (ઘી- તેલ-ગોળ અને ખાંડ) નાખી શકો છો. દા. ત. ખિચડીમાં ઘી નાખવુ કે રોટલીનો ઘી - ગોળ વાળો લાડવો બનાવવો.
  8. કોમર્શીયલ બેબી ફૂડ કદાચ બાળક માટે ઉપયોગી ઘણા સારા પદાર્થો ધરાવે છે અને તેનો ઉપયોગ ઘણો સહેલો છે અને ટ્રાવેલીંગ દરમ્યાન ઘણુ ઉપયોગી છે. પરંતુ તેના વિશે કેટલાક મુદ્દા ખાસ નોંધવા રહ્યા:
    • ઘણુ મોંઘુ છે.
    • એકજ સ્વાદનુ હોય છે.
    • પેકેજીંગ તારીખ અને પીરસવા વચ્ચે હંમેશા અંતર હોવાથી તાજુ ન કહી શકાય.
    • બાળકોને ઘણી વાર આ સ્વાદની ખૂબ આદત પડી જાય તો અન્ય ખોરાકમાં તેમની રુચિ રહેતી નથી.
    • જો બાળક તુરંત જ ન ખાય તો બનાવેલ ખોરાકને સ્ટોર કરી શક્વુ અઘરુ છે તે સહેલાઈ થી બગડી જાય છે.
  9. અન્ય પ્રાણીનુ દૂધ છ માસ બાદ બાળકને આપી શકાય છે પણ તેમાં પાણી નાખવુ નહી.
  10. સફાઈ ખૂબ જ જરુરી છે તમારી અને તમારા બાળકના હાથની - મોટાભાગની મા પોતે ચોક્કસ હાથ ધોવે છે પણ બાળકના ભૂલી જાય છે!!. કમનસીબે મા કરતા બાળકનો હાથ તેના મોં માં વધુ વાર જતો હોય છે.!!
  11. બાળકને પણ પોતાની પસંદ અને ના પસંદ હોય છે.! તેનો આદર કરવો. ઘણા બાળકોને ગળ્યુ નથી ભાવતુ તો ઘણાને ખારુ નથી ભાવતુ. જરુરી નથી કે તમે ખૂબ મહેનત કરી બનાવ્યુ હોય તો બાળક ખાશે જ...!! તો નિરાશ ન થશો....!
  12. બાળકની ભૂખ - ઉંઘ અને શારીરીક બાંધો ઘણા પરિબળો પર આધાર રાખે છે તો કયારેય તમારા બાળકની અન્ય સાથે સરખામણી ન કરશો. બાળકનો વિકાસ યોગ્ય છે કે નહિ તે વિશેષજ્ઞ પર છોડી દો.

ટૂંકમાં

જન્મ થી છમાસ સુધી - ફકત સ્તનપાન

છ માસથી એક વર્ષ - સ્તનપાન + અડધી વાટકી ઉપરી આહાર દિવસમાં ત્રણ વાર (પાંચવાર જો સ્તનપાન ન કરાવાતુ હોય)

એક થી બે વર્ષ - સ્તનપાન + એક થી દોઢ વાટકી ઉપરી આહાર દિવસમાં ત્રણ થી પાંચ વખત

બે વર્ષ અને ઉપર - બે વખત જમવાનું + પાંચ વખત નાસ્તો - ફળૉ વિ. (જો માતા ઈચ્છે તો સ્તનપાન કરાવી શકે પણ તેની કોઈ પોષણક્ષમતા નથી માત્ર શિશુના માનસિક સંતોષ ખાતર તે ઉપયોગી છે.)

આપના બાળકની કોઈપણ સમસ્યા માટે ડોક્ટરની સલાહ માનશો. ઉંટવૈદુ કે મિત્રોની બિન વૈજ્ઞાનિક સલાહ અનુસરવી નહી.