મારી પત્ની ને સગર્ભા હોવાના નિદાન થયે 10 દિવસમાં કુદરતી ગર્ભપાત થઈ ગયો હવે શું કરવુ જોઈએ. ? - અશોકકુમાર સખીયા(અમદાવાદ)
અમારો જવાબ – સામાન્ય રીતે આ પ્રકારના કુદરતી ગર્ભપાત (spontaneous abortion) પછી સ્ત્રીને માનસિક શાંતિ – સાથ અને હૂંફની વધુ જરુર પડે છે. થોડા આરામ પછી 2-3 દિવસે ધીમેધીમે હળવુ કામ અને બાદમાં રોજીંદુ કામ કરી શકાય છે. એક વખત ગર્ભપાત થયા બાદ રક્તસ્ત્રાવ બંધ થયાના 2-3 દિવસે સમાગમ પણ કરી શકાય છે. જોકે ગર્ભપાત પછી પણ ગર્ભ રહેવાનુ સંભવ છે આથી પરિવાર નિયોજન નું સાધન વાપરવુ જરુરી છે. એક વખત માત્ર અવલોકન ખાતર પણ સ્ત્રીરોગ વિશેષજ્ઞને બતાવવુ જરુરી છે જેથી ગર્ભપાત પૂર્ણ થયેલ છે કે કોઈ કારણસર અધૂરો ગર્ભપાત થયેલ છે તે જાણી શકાય. કેટલાક ખાસ કિસ્સામાં જો અપૂર્ણ ગર્ભપાત થયેલ હોય તો વિશેષજ્ઞની સલાહ થી વધુ સારવર કરવી જરુરી બને છે.
નીચેના સંજોગોમાં તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો.
- જો વધુ પડતુ બ્લીડીંગ થાય (1 સેનીટરી પેડ/ક્લાક મુજબ ત્રણ કલાક થી વધુ સમય માટે)
- જો 100 ડીગ્રી ફેરન્હીટ થી વધુ તાવ આવે તો
- જો યોનિદ્વાર કે પેટના કે પેડુના ભાગે ખૂબ દુઃખાવો થાય
- જો યોનિ વાટે સતત દુઃર્ગંધ યુક્ત પાણી પડે